લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો
http://www.acb.gujarat.gov.in

ગુજરાત રાજય સેવા (વર્તણુંક) નિયમો ૧૯૭૧

4/20/2024 1:30:06 AM

રાજ્ય સેવકે ધ્‍યાનમાં રાખવા જેવી બાબતો
ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો ૧૯૭૧


(૧)     જાહેર સેવક (સરકારી કર્મચારી) જો લગ્‍નવિધિ કે ધાર્મિક સમારંભ જેવા પ્રસંગોમાં તેના કોઈ કુટુંબીજન કે નજીકના સગા અથવા અંગત મિત્ર હોય કે તેના વતી કામ કરતી કોઈ વ્‍યક્તિ નીચે જણાવેલી રકમની કે તેનાથી વધારે રકમની ભેટ સ્‍વીકારે તો તેણે સંબંધિત વિભાગને જાણ કરવાની હોય છે.
વર્ગ-૧ના અધિકારી-રૂ. ૫,૦૦૦/-
વર્ગ-રના અધિકારી-રૂ. ૩,૦૦૦/-
વર્ગ-૩ના અધિકારી / કર્મચારી -રૂ. ૧,૦૦૦/-
વર્ગ-૪ના કર્મચારી -રૂ. ૫૦૦/-
ઉપરોક્ત સિવાયના પ્રસંગોમાં વર્ગ-૧ અને વર્ગ-રના અધિકારીઓએ રૂ. ૧,૦૦૦/- અને વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારી રૂ. ર૫૦/- કે તેથી વધારે રકમની ભેટસોગાદો સ્‍વીકારવા માટે સરકારની પરવાનગી મેળવવાની રહે છે.

(ર)    જાહેર સેવક જો પોતાની પત્‍ની દ્વારા અથવા તેના કુટુંબની કોઈ વ્‍યક્તિ દ્વારા હાથ ધરાયેલા ધંધા માટે નાણાંની જોગવાઈ કરે કે તેમાં પરોક્ષ રીતે મદદ કરે, તો જે તે જાહેર સેવક તે ધંધામાં સામેલ છે તેમ ગણાશે, અને આ માટે સરકારની પૂર્વમંજૂરી જરૂરી છે.

(૩)    કોઈ પણ જાહેર સેવક શેર, જામીનગીરીઓ અથવા બીજાં અન્‍ય રોકાણોની વારંવાર ખરીદી કે વેચાણ કરી શકશે નહીં.

(૪)    કોઈ પણ જાહેર સેવક સરકારની પૂર્વમંજૂરી વિના તેની હકૂમત નીચેની સ્‍થાનિક હદમાં કોઈ પણ વ્‍યક્તિને પૈસા ધિરાણ કરી શકશે નહીં કે વ્‍યાજે પૈસા આપી શકશે નહીં કે ધિરાણ મેળવી શકશે નહીં, સિવાય કે અંગત મિત્ર, સગા અથવા ખાનગી નોકરને વગર વ્‍યાજે નાની રકમ ધિરાણ કરી શકશે કે મેળવી શકશે.

(૫)    દરેક જાહેર સેવકે નોકરીમાં પ્રથમ નિમણૂક થયે તેને પોતાના અથવા તેના કુટુંબની કોઈ વ્‍યક્તિના નામે વારસામાં મળેલી અથવા ગીરોથી સંપાદન કરેલી સ્‍થાવર મિલકત સંબંધે પૂરેપૂરી વિગતો આપતું સ્‍થાવર અસ્‍ક્યામતોનું પત્રક સરકારના ઠરાવેલા નમૂના પ્રમાણે રજૂ કરવાનું હોય છે. રાજ્યપત્રિત જાહેર સેવકે દર વર્ષની પહેલી જાન્‍યુઆરીએ તથા બિનરાજ્યપત્રિત જાહેર સેવકે પાંચ વર્ષના પૂર્ણ ગુણાંકમાં હોય તેવી ઉંમરે એટલે કે ર૫, ૩૦, ૩૫... વર્ષની ઉંમરે ઉપરોક્ત માહિતી પૂરી પાડવાની હોય છે.

(૬)    કોઈ પણ જાહેર સેવક નિયત સત્તાધિકારીને અગાઉથી જાણ કરેલી હોય તે સિવાય કોઈ પણ સ્‍થાવર મિલકત તેના નામે કે તેના કોઈ પણ કુટુંબીજનોના નામે પત્ર, ગીરો, ખરીદી, વેચાણ, બક્ષિસ અથવા બીજી કોઈ પણ રીતે સંપાદિત કરી શકશે નહીં.

(૭)    જાહેર સેવક અથવા તેના કુટુંબના અન્‍ય કોઈ સભ્‍ય દ્વારા કરેલી જંગમ મિલકતોની લેવડદેવડ નીચે જણાવેલી રકમ કરતાં વધુ હોય તો લેવડદેવડની તારીખથી એક મહિનાની અંદર નિયત સત્તાધિકારીને જાણ કરવી જોઈએઃ
વર્ગ-૧ના અધિકારી-રૂ. ર૫,૦૦૦/-
વર્ગ-રના અધિકારી-રૂ. ર૦,૦૦૦/-
વર્ગ-૩ના અધિકારી / કર્મચારી -રૂ. ૧૫,૦૦૦/-
વર્ગ-૪ના કર્મચારી -રૂ. ૧૦,૦૦૦/-
આવી લેવડદેવડ જાહેર સેવકને જેની સાથે સરકારી કામકાજ રહેતું હોય તેવી વ્‍યક્તિ સાથે હોય તો નિયત સત્તાધિકારીની પૂર્વમંજૂરી જોઈશે.